Pages

પેટ્રોલ જેવો યુવાની મિજાજ

ખોટું તો નહીં કરૂં, ભલે હું તબાહ થઈ જાઉં 

ગાડી પેટ્રોલ, ડિઝલ અને સીએનજી અને એલપીજી ઈંઘણથી ચાલી શકે, પણ દેશ આ ઈંઘણથી ચાલતો નથી. દેશને યુવાની નામનું ઈંઘણ ચલાવે છે. કોઈ પણ દેશને બરબાદ કરવો હોય તો તેની યુવાનીને ખતમ કરવી પડે. દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે સીએનજી જેવા યુવાનો ન ચાલે તેની માટે પેટ્રોલ જેવો યુવાની મિજાજ જોઈએ.કમનસીબી એ છેકે પેટ્રોલ જેવો યુવાની મિજાજ ધરાવતો યુવાન ધીરે ધીરે સીએનજી જેવો થતો જાય છે. સસ્તો અને દરેકને પોષાય તેવો.

સસ્તો અને દરેકને પોષાય તેવો યુવાન ઘર-પરિવાર સંભાળી શકે, પણ સમય આવે ત્યારે ઝઝુમી ન શકે. કઈક અલગ કરવાની હિંમત જોઈએ. સમાજને કઈક આપવાની દાનત જોઈએ. જેની શરૂઆત જ ત્યાગથી થાય છે. જે પેટ્રોલ જેવો યુવાની મિજાજ ધરાવતો યુવાન છે. તે ભણે છે અને કઈક નવું આપવાની આશા સાથે અખતરા કરે છે અને છેવટે સફળ પણ થાય છે. ઉદાહરણ અનેક છે પરંતુ મોટા ભાગે વિદેશી છે. મા- બાપ તેમની આસપાસ જે  જુએ છે તેવું ઈચ્છે છે. નટ-નટીઓનો જમાનો છે પણ તે સિવાય પણ ઘણું છે. નોકરી મળે તે સાથે છોકરી મળે તેવી ઝંખના કરતો યુવાન સીએનજી જેવો કહેવાય. જ્યાં સુધી મારા ધ્યેયમાં સફળતા ન મળે ત્યાં સુધી લગ્ન નહીં કરૂં તેવી શપથ લેનારો યુવાન પેટ્રોલ જેવો મિજાજ ધરાવતો યુવાન કહેવાય.

મારી વાત માત્ર લગ્ન સુધી સિમિત નથી. વર્તમાન સમયે યુવાન ભટકી ગયો છે. જેનું પ્રેરકબળ ઘરમાંથી મળી રહ્યું છે. મા – બાપ જાતે જ ભટકેલા હોય ત્યાં નવી દિશાની શું આશા રાખવી. ધર્મ અને વિજ્ઞાન બંને સારા છે. માત્ર ધર્મ તરફ વળી જવાથી ભલું નહીં થાય. વિજ્ઞાનને પણ ઘર્મ જેટલું જ મહત્વ આપવું પડશે. હાથમાં મોબાઈલ અને થેલામાં લેપટોપ હોવાથી તમે વિજ્ઞાનને સમજી ગયા છો તેવી ભુલ ન કરશો.


સમાજમાં દરેકે પોતાનું સ્થાન નક્કી કરવાનું છે. દરેકમાં કઈંક ખાસ છે. રોટલીમાં અટવાયેલો કુંટુંબ સમાજને શું આપે તે સમજી શકાય. મારો કહેવાનો અર્થ માત્ર તેટલો જ છેકે તમે નક્કી કરી લો. તમારી હાલત દાબેલી જેવી ન થાય. જીવનની મજા મરી ન જાય. દેશમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઘણો ઉછળ્યો છે. દેશ માત્ર ભ્રષ્ટાચારથી પીડિત છે તેમ પણ નથી. ભ્રષ્ટાચાર વિકૃત માનસિક્તાનું નાનકડું રૂપ છે. જે પોતાના ઘર ભરવામાં માને છે. જે ઘરમાં ભ્રષ્ટાચાર ઘુસી ગયો છે. તે હજુ વધારે મજબુત થશે જ્યાં સુધી તેમની માનસિકતામાં સુધારો આવશે નહીં. ભ્રષ્ટાચારી માનસિક્તા ખતમ નહીં થાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર ખતમ થશે નહીં.

લોકોનાં જીવનમાં વૈભવ –વિલાસ વધી ગયો છે. રૂપિયા છે પણ સમય નથી. સમય વેડફાઈ રહ્યો છે. સિદ્ધાર્થ (ગૌતમ બુદ્ધ ) બધું જ હતું, તેમ છતાં તેમને વૈભવ-વિલાસ ન જામ્યો, ગૌતમ બુદ્ધે સમાજને જે આપ્યું તે કામે લાગ્યું. વૈભવ - વિલાસ તમને રાજી કરશે પણ તમારી આગામી પેઢી તમારા જ વૈભવ-વિલાસને કારણે દુ:ખી થશે. વર્તમાન સમયે માણસ રૂપિયાની પાછળ દોડી રહ્યો છે. રૂપિયાને જ સફળતા સાથે સરખાવી રહ્યો છે. ગરીબ માણસ પણ સફળ પિતા હોઈ શકે. 

સીએનજી યુવાનને  જીવનમાં બધું જ કરવું છે જે જોયું છે ; પરંતુ જે સમાજ માટે નવું છે, ઉપયોગી છે, તેવું અવનવું પરાક્રમ કરવાનું વિચારી શક્તો નથી. સીએનજીથી ચાલતો યુવાન  હવે ઘસાઈ ગયો છે. આ સીએનજી યુવાન એટલી હદે સસ્તો અને સરળ  થઈ ગયો છે કે  સમાજમાં દરેક ઠેકાણે પોતાની જગ્યા બનાવામાં સફળ રહી શકે. કારણ કે  હવે તેનામાં કોઈ સિદ્ધાંત રહ્યાં નથી. સિદ્ધાંત વગરનો માણસ ગમે ત્યાં ગમે તે સ્થિતિમાં રહી શકે પણ લડી ન શકે.

સ્વામી વિવેકાનંદનું આ વાક્ય દરેકને ખબર જ હશે.  ઉઠો, જાગો અને ત્યાં સુધી ન થોભો કે જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થઈ જાય. ત્યારે સવાલ થાય કે વિવેકાનંદ કેવા લક્ષ્યની વાત કરી રહ્યાં છે. સ્વામી વિવેકાનંદનું પોતાનું લક્ષ્ય શું હતું. તેમણે પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે કેવો સંઘર્ષ કર્યો હતો. વર્તમાન સમયે સ્વામી વિવેકાનંદનું નામ આવતાં જ મનમાં શ્રદ્ધા અને સ્ફુર્તિ બંનેનો સંચાર થાય છે. શ્રદ્ધા એટલા માટે, કારણ કે તેમણે ભારતના નૈતિક અને જીવન મૂલ્યો વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડ્યાં અને સ્ફુર્તિ એટલા માટે, કારણ કે આ મૂલ્યો દ્વારા જીવનને એક નવી દિશા મળે છે.